નેહરૂનો ‘આઇડિયા ઓફ ઈન્ડિયા’ અને એના પર ખતરાઓ

हिन्दी में 

अंग्रेज़ी में

  • એસ. ઇરફાન હબીબ
  • અનુવાદ: આર્જવ પારેખ

એ બહુ પ્રસિદ્ધ વાત છે કે જવાહરલાલ નેહરૂ પોતાને ‘કેટલીય વસ્તુઓમાં ભટકવાવાળો’ કહેતા હતા. એ જ બતાવે છે કે તેઓ એક ઉદાર દૃષ્ટિવાળા લેખક હતા. એમણે ન માત્ર રાજકારણ, પ્રકૃતિ, ઇતિહાસ, કવિતા અને વિજ્ઞાન વિશે લેખો લખ્યા પરંતુ અનેક સ્ત્રોતોથી પ્રેરણા પણ પ્રાપ્ત કરી, જે એમની વિસ્તૃત યાત્રાઓ અને એમના અધ્યયનથી પેદા થઈ છે.

રાષ્ટ્રવાદ અને સંસ્કૃતિ વિશે એમની વિચારસરણી નિશ્ચિતરૂપે ભારતમાં સમાયેલી હતી પરંતુ એક સંકીર્ણ વિચારધારાથી હમેશા ઉપર જ હતી. એ હમેશા એક ધર્મનિરપેક્ષ, બહુલવાદી અને ભેદભાવરહિત રાષ્ટ્રવાદ માટે પ્રતિબદ્ધ રહ્યા. એક એવા વ્યક્તિ કે જેમની સંગત ગુરુદેવ ટાગોર સાથે હતી એ નેહરૂ પોતે રાષ્ટ્રવાદ પ્રત્યે શંકાશીલ હતા.

 

આપણા રાષ્ટ્રવાદી નેતાઓમાં તેઓ રાષ્ટ્રવાદ અને સંસ્કૃતિની પ્રત્યે ઉદાર દૃષ્ટિવાળા અને સૌથી મુખર રીતે વિપુલ માત્રામાં લેખન કરવાવાળા હતા.

એમના પિતા મોતીલાલ નેહરૂએ પહેલા ઘરે અને ત્યારપછી ઈંગ્લેન્ડના હાઇરો અને કેમ્બ્રિજમાં એમના અભ્યાસનું વિશેષ ધ્યાન રાખ્યું. નેહરૂ શરૂઆતમાં વિજ્ઞાન ભણ્યા પરંતુ અંતે તેઓ બેરિસ્ટર થઈ ગયા. એમણે થોડા સમય માટે કોર્ટમાં વકીલાત કરી પરંતુ એમને ખૂબ જલ્દી રાજનીતિનો રંગ લાગી ગયો અને એમનું બાકીનું જીવન એમણે સ્વતંત્રતા સંગ્રામમાં અને ત્યાર પછી સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંત્રી રૂપે વિતાવ્યું.

નેહરૂએ રાષ્ટ્રવાદ અને ભારતના વિચાર સહિત વિવિધ વિષયો પર વ્યાપક રૂપે લખ્યું છે. એ વિવિધ પ્રભાવો પ્રત્યે ઉદાર એવા ‘કોસ્મોપોલિટન’ વ્યક્તિ હતા, જે એમના લેખનમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થતું હતું. તેઓ ભારતની પરંપરા અને સંસ્કૃતિમાં જે પણ રચનાત્મક હતું તેને બચાવવા માંગતા હતા, પરંતુ એમણે ધાર્મિક જિદ્દીપણું અને રૂઢિવાદના વર્ચસ્વની સામે લડાઈ લડી જે દેશના વિકાસ અને આધુનિકીકરણમાં બાધક હતી.

એમના માટે વૈજ્ઞાનિક વિચાર, પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા હતા. એમણે કહ્યું હતું કે ‘કોઈપણ પરંપરા કે જે કોઈના મન કે શરીરને કેદી બનાવે છે, એ ક્યારેય સારી નથી હોતી.’ આપણા ભૂતકાળ અને સંસ્કૃતિને સમજવા માટે આ ઉદાર રાષ્ટ્રવાદ અને ટીકા કરી શકાય એવી નિષ્પક્ષતા એક અનમોલ નેહરુવાદી વિરાસત છે, જેને આજે ફરીથી યાદ કરવાની જરૂરી છે.

નેહરૂ હંમેશા આપણી સાથે કેમ છે અને કેમ હંમેશા એવા જ સંદર્ભમાં એમનો ઉલ્લેખ થાય છે જ્યાં એમને કોઈને કોઈ વર્તમાન વિફળતા માટે દોષી ગણવામાં આવે છે? કેમ એમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં કઈંપણ ખોટું થાય તો પ્રમુખ દોષી રૂપે પ્રસ્તુત કરવામાં આવે છે?

એમની સામે આ રીતના અપમાનજનક હુમલાઓ થઈ રહ્યા છે. એમણે જે વિચાર આપણને આપ્યો હતો એ ભારતના વિચાર પર ગંભીર હુમલો એ સૌથી મોટો ખતરો છે.